ગૌતમ અદાણી અને અમેરિકાની એક એજન્સી હિંડનબર્ગ વચ્ચેની લડાઇ દિવસને દિવસે વકરી રહી છે. અદાણી ગ્રૂપે રવિવાર ન્યૂયોર્ક સ્થિત હિંડનબર્ગ રિસર્ચે કરેલા આક્ષેપો સામે 413 પાનાનો જવાબ આપ્યો છે. ત્યારબાદ તેના એક દિવસ પછી સોમવારે હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ ઉપર ફરી વળતો પ્રહાર કર્યો હતો. જેમાં હિંડનનબર્ગ રિસર્ચે સોમવારે તેના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, રાષ્ટ્રવાદના નામે ‘કૌભાંડ’ છુપાવી શકાતું નથી. હિંડનબર્ગે અદાણી જૂથના જવાબને ‘Bloated Response’ ગણાવ્યો હતો.
ભારતને વ્યવસ્થિત રીતે લૂંટી રહ્યું છે અદાણી ગ્રૂપ
હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું હતું કે તે માને છે કે ભારત એક ‘વાઇબ્રન્ટ લોકશાહી’ છે અને રોમાંચક ભવિષ્ય સાથે ઉભરી રહેલી મહાસત્તા છે. હિંડનબર્ગ રિસર્ચે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે એવું પણ માનીએ છીએ કે ભારતના ભવિષ્યને અદાણી ગ્રૂપ દ્વારા પાછળ ધકેલવામાં આવી રહ્યું છે. આ કોર્પોરેટ ગ્રૂપ પોતાને ભારતના રાષ્ટ્રધ્વજની આડમાં રાખીને દેશને વ્યવસ્થિત રીતે લૂંટી રહ્યું છે.
હિંડનબર્ગ રિસર્ચે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “થોડાંક કલાક પહેલા અદાણીએ ‘413 પાનાનો’ પ્રત્યુત્તર આપ્યો છે. તે સનસનાટીભર્યા દાવા સાથે શરૂ થયું કે અમે “મેનહટનના મેડઓફ્સ” છીએ. તેણે સંભવિત મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો પણ પ્રયાસ કર્યો અને રાષ્ટ્રવાદની કહાનીને હવા આપી છે. જેમાં દાવો કરાયો છે કે અમારો રિપોર્ટ એ ‘ભારત પર યોજનાબદ્ધ હુમલો’ હતો. ટૂંકમાં, અદાણી જૂથે ભારતની સફળતાની સાથે પોતાની જબરદસ્ત પ્રગતિ અને પોતાના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિને જોડવાનો પ્રયાસ કર્યો છે. અમે આ બાબતથી અસહમત છીએ.
અદાણી હિંડનબર્ગ રિપોર્ટના મુખ્ય સમાચાર (1) હિંડનબર્ગના એક રિપોર્ટથી ગૌત્તમ અદાણીની ઉંઘ હરામ, અદાણી ગ્રૂપની કંપનીઓ સામે ગંભીર આક્ષેપો (2) અદાણી ગ્રૂપના શેરમાં ‘સેલર સર્કિટ’, એક જ દિવસમાં માર્કેટ વેલ્યૂમાં ₹ 3.4 લાખ કરોડનું ધોવાણ (3) ગૌતમ અદાણીને ઝટકો, એક જ દિવસમાં અધધધ… 22.6 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી (4) અદાણીએ હિંડનબર્ગને આપ્યો 413 પાનાનો જવાબ, રિપોર્ટને સફેદ જૂઠ ગણાવતા કહ્યું…’આ ભારત પર હુમલો છે’
અદાણી ગ્રૂપને 88 પ્રશ્નો પૂછ્યા
હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું હતું કે, અમારા રિપોર્ટમાં અદાણી ગ્રૂપને 88 ચોક્કસ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેમાંથી 62 પ્રશ્નનોનો જવાબર આપવામાં અદાણી ગ્રૂપ નિષ્ફળ રહ્યુ છે. અત્રે નોંધનિય છે કે, અદાણી ગ્રૂપે રવિવારે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં અદાણી ગ્રૂપે તેની કંપનીઓ સામે થયેલા આરોપોની સરખામણી “ભારત પર આયોજિત હુમલા” સાથે કરી હતી.